[ad_1]
મુંબઈ-ગોવા જનશતાબ્દીમાં ૧૦૦ ટકા ઓક્યુપન્સી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મેલ-એક્સપ્રેસ ટ્રેનની ફુલ સ્ક્રીન વિન્ડોમાંથી લીલાછમ ખેતરો અને પહાડો પરથી વહેતી નદી અને ઝરણાના અનુપમ દૃશ્યોને જોવાનો અનેરો લહાવો છે અને તેને હૂબહૂ ટ્રેનમાંથી જોવા માટે રેલવે દ્વારા મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે, જે અંતર્ગત મધ્ય રેલવેની વિવિધ એક્સપ્રેસ ટ્રેનના વિસ્ટાડોમ કોચમાં છ મહિનામાં ૫૬,૦૦૦થી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો.
મધ્ય રેલવેમાં મુંબઈથી ગોવા વચ્ચેની જાણીતી સીએસએમટી-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં લગાવવામાં આવેલા વિસ્ટાડોમ કોચનું પ્રવાસીઓને સૌથી વધારે ઘેલું લાગેલું છે, જે સેક્શનમાં સૌથી વધુ કુદરતી સૌંદર્યનો સમાવેશ થાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર, ૨૦૨૨ વચ્ચેના સમયગાળામાં વિવિધ વિસ્ટાડોમ કોચમાં ૫૬,૮૯૫ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, તેના મારફત રેલવે પ્રશાસને ૭.૩૨ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી છે, જેમાં સૌથી વધુ મુંબઈ-મડગાંવ-મુંબઈ જનશતાબ્દી એક્સપ્રેસમાં પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો. જનશતાબ્દી એક્સપ્રેસમાં ૧૬,૦૭૮ જેટલા પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે મુંબઈ-પુણે-મુંબઈ ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં ૯૯ ટકા, મુંબઈ-પુણે-મુંબઈ ડેક્કન એક્સપ્રેસમાં ૧૦૦ ટકા ઓક્યુપન્સી રહી હતી, જેમાં બંનેમાં અનુક્રમે ૧.૪૩ કરોડ અને ૧.૨૬ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી. આ મુદ્દે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે કહ્યું હતું કે મોટા ભાગની ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ રહે છે, જેમાં સૌથી વધુ સીએસએમટી-ગોવા ટ્રેનનો સમાવેશ થાય છે. મુંબઈ ડિવિઝનમાં જનશતાબ્દી, ડેક્કન ક્વીન, ડેક્કન એક્સપ્રેસ, પ્રગતિ એક્સપ્રેસ સહિત પુણે ડિવિઝનમાંથી પુણે-સિકંદરાબાદ શતાબ્દી એક્સપ્રેસ દોડાવાય છે. સૌથી પહેલા ૨૦૧૮માં સીએસએમટી-મડગાંવ (મુંબઈ-ગોવા) ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો હતો, ત્યાર બાદ મુંબઈ-પુણે રૂટની વધુ બે ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યા હતા.
મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં ૧૧૦ ટકાથી વધુ ઓક્યુપન્સી
પશ્ર્ચિમ રેલવેમાં શતાબ્દી એક્સપ્રેસ (૧૨૦૦૯-૧૨૦૧૦)માં પણ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે, જેમાં દસમી મેથી ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ની વચ્ચેના સમયગાળા દરમિયાન ૧૧૦ ટકાથી વધુ પેસેન્જર ઓક્યુપન્સી રહી છે. ખાસ કરીને મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં ૧૧૯ ટકા તથા અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસમાં પેસેન્જર ઓક્યુપન્સી ૧૨૩ ટકા નોંધાઈ છે, એમ પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
[ad_2]