[responsivevoice_button voice="Hindi Female"]

[ad_1]





એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની છાપ સાદગીપૂર્ણ રીતે જીવનારાં અને ભ્રષ્ટાચાર નહીં આચરનારાં નેતા તરીકેની છે. મમતા સામે ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો થયા, મમતાના ઘણા સાથીઓને ઉઠાવીને જેલમાં પણ ધકેલી દેવાયા પણ મમતા પોતાની સ્વચ્છ ઈમેજ જાળવવામાં સફળ રહ્યાં છે પણ મમતાની આ સ્વચ્છ ઈમેજ સામે હવે સવાલ ઊભો થયો છે. મમતા બેનરજીના પાંચ ભાઈ અને એક ભાભી સામે તેમની આવક કરતા વધુ સંપત્તિ હોવાના આક્ષેપ લાગ્યા છે. આ મુદ્દે કોલકાતા હાઈ કોર્ટમાં અરજી પણ થઈ છે અને હાઈકોર્ટે મમતાના પરિવાર પાસે હાઈ કોર્ટે જવાબ પણ માંગ્યો છે.
અરિજિત મજમુદાર નામના સજ્જન દ્વારા કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે, ૨૦૧૧માં તૃણમૂલ કૉંગ્રેસ સત્તામાં આવી પછી બેનરજી પરિવારની સંપત્તિમાં અધધધ વધારો થયો છે. કોલકાતાની હરીશ ચેટર્જી સ્ટ્રીટ પરની મોટાભાગની મિલકતો બેનરજી પરિવારની છે. મમતાની ભાભી કજરી બેનરજી મમતાની સત્તાનો દુરૂપયોગ કરીને માર્કેટ રેટથી ઓછી કિંમતે પ્રોપર્ટી પડાવી લેતાં હોવાનો પણ આરોપ છે. મમતા બેનરજીનો ભત્રીજો સાસંદ અભિષેક બેનર્જી ઘણી કંપનીઓમાં ડિરેક્ટર છે અને તેમણે પણ જંગી સંપત્તિ એકઠી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.
મમતાના પરિવારના કુલ ૬ સભ્યો સામે અપ્રમાણસર સંપત્તિના આક્ષેપ કરાયા છે. અરિજિત મજમુદારે અમિત બેનર્જી, અજીત બેનરજી, સમીર બેનરજી, સ્વપન બેનરજી, ગણેશ બેનર્જી અને કજરી બેનરજી સામે આક્ષેપ કર્યા છે. આ પૈકી પાંચ પુરુષ મમતાના ભાઈ છે જ્યારે કજરી બેનરજી તેમનાં ભાભી છે. કજરી મમતાના નાના ભાઈ સમીર બેનરજીની પત્ની છે. અભિષેક બેનરજી મમતાના સૌથી મોટા ભાઈ અમિત બેનરજીનો દીકરો છે. હાઈ કોર્ટે જેમની સામે આક્ષેપો થયા છે એ તમામને ૧૧ નવેમ્બર સુધીમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ આપ્યો છે ને હવે ૨૮ નવેમ્બરે સુનાવણી થશે.
મમતાએ ધારણા પ્રમાણે જ આ આક્ષેપોને વાહિયાત ગણાવ્યા છે. મમતાનો દાવો છે કે, મારે મારા પરિવારજનો સાથે કોઈ લેવાદેવા નથી અને આ પૈકી કોઈ મારી સાથે કોઈ રહેતું નથી. મારા બધા ભાઈઓ અલગ રહે છે અને માત્ર મારાં માતા મારી સાથે રહેતા હતાં. મમતાએ એવો દાવો પણ કર્યો કે, છેલ્લાં ૧૨ વર્ષથી મને દર મહિને ૧ લાખ રૂપિયા પેન્શન અને ૩ થી ૩.૫ લાખ રૂપિયા પ્રતિ મહિને માનદ વેતન મળી રહ્યું છે પણ આ રકમ પણ મેં લીધી નથી. હું મારાં પુસ્તકોની રોયલ્ટીમાંથી જે કમાણી કરું છું તે વાપરું છું. મમતાએ અત્યાર સુધીમાં ૧૨૫ પુસ્તકો લખ્યા છે ને તેમાંથી દર વરસે હજારો રૂપિયાની કમાણી થાય છે.
મમતા આ વાત પહેલાં પણ કરી ચૂક્યાં છે. બલ્કે ગયા મહિને ૨૯ ઑગસ્ટે તૃણમૂલ છાત્ર પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તો મમતાએ બંગાળના મુખ્ય સચિવ એચ.કે. દ્વિવેદીને પોતાની સંપત્તિની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. મમતાએ એલાન કરેલું કે, સરકારની તપાસ બાદ મારી પાસેથી એક રૂપિયાની પણ બિનહિસાબી મિલકત મળી આવે તો તેનો નાશ કરી દેજો, મને પૂછવા પણ ના આવતા કેમ કે હું રાજીનામું આપી દઈશ.
મમતા આ પ્રકારે લોકોની લાગણીઓ સાથે રમવામાં હોંશિયાર છે તેથી તેમની આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર નથી. મમતાની પોતાના ભાઈઓ સાથે રહેતા નથી એ વાત પણ મહત્ત્વની નથી. મમતાની સત્તાનો દુરુપયોગ કરવા માટે તેના પરિવારજનોએ સાથે રહેવાની જરૂર પણ નથી. મોટાભાગના રાજકારણીઓનાં બધા સગાં સાથે રહેતાં નથી હોતાં ને છતાં તેમનું નામ વટાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કરે જ છે. મમતાના પરિવારજનો પણ એ ખેલ કરી જ શકે એ જોતાં મમતાના ખુલાસાઓનો કોઈ અર્થ નથી.
બીજી તરફ મમતાના પરિવારજનો સામેની અરજીમાં બેનરજી પરિવારે ક્યાં ક્યાં સસ્તા ભાવે પ્રોપર્ટી લીધી તેની વિગતો પણ અપાયેલી છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, ૪ મે ૨૦૧૯ના રોજ, કજરીએ પશ્ર્ચિમ બંગાળ હાઉસિંગ બોર્ડ પાસેથી રૂ. ૧૯ લાખમાં મિલકત ખરીદી હતી પણ તેની બજાર કિંમત રૂ. ૬૩.૭૮ લાખ હતી.
કજરીએ ૨૦૨૧માં કોલકાતાના વોર્ડ નંબર-૭૩માંથી ચૂંટણી લડી ત્યારે એફિડેવિટમાં પોતાને સામાજિક કાર્યકર જણાવીને પતિ અને પોતાની મિલકત રૂ. ૫ કરોડની હોવાનું જણાવ્યું હતું. કજરીએ સામાજિક કામો કરીને ૫ કરોડ કેવી રીતે કમાયાં એ સવાલ ઉઠાવાયો છે. આ એફિડેવિટમાં કજરીએ પુત્રને આશ્રિત જાહેર કરીને તેના પાન નંબરનો ઉલ્લેખ કર્યો ન હતો પણ તેમનો દીકરો કે.એ. ક્રિએટિવ એલ.એલ.પી.નો માલિક છે. આ કંપની દ્વારા હરીશ મુખર્જી રોડ પર રૂપિયા ૧.૩૦ કરોડની મિલકત ખરીદવામાં આવી તેની સાચી કિંમત ૫.૧૯ કરોડ રૂપિયા હતી એવો દાવો પણ કરાયો છે. આ સિવાય લિપ્સ એન્ડ બાઉન્ડ્સ ઈન્ફ્રા ક્ધસલ્ટન્ટ પ્રાઈવેટ લિમિટેડ, લિપ્સ એન્ડ બાઉન્ડ પ્રાઇવેટ લિમિટેડ, લિપ્સ એન્ડ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસીસ એલએલપી એમ કંપનીઓ મમતાના પરિવારના સભ્યો ચલાવે છે એવો આક્ષેપ પણ કરાયો છે. ત્રિનેત્ર ક્ધસલ્ટેન્ટ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની ૨૦૧૯ પહેલા બની અને ગાયબ પણ થઈ ગઈ. કંપનીએ બેલેન્સ શીટ સુદ્ધાં ફાઇલ કરી નથી. આ કંપનીએ ટીએમસીને ૩ કરોડ રૂપિયાનું દાન આપેલું એવો પણ આક્ષેપ કરાયો છે. બેનરજી પરિવારની પુરીમાં એક હૉટલ હોવાનો અને કજરી પાસે રૂપિયા ૨૦ કરોડની સંપત્તિ હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
આ અરજીમાં બીજા પણ ઘણા આક્ષેપો છે. સંખ્યાબંધ સંપત્તિની વિગતો અપાયેલી છે ને તેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો દાવો પણ કરાયો છે. આ તમામ આક્ષેપો સાચા જ છે એવું ના માની શકાય પણ મમતા મુખ્યમંત્રી છે તેથી તેમની સામે આ પ્રકારના આક્ષેપો થાય એ ગંભીર કહેવાય. આ આક્ષેપોની તપાસ થવી જ જોઈએ.
મમતા ૨૦૧૧થી બંગાળનાં મુખ્યમંત્રી છે. મમતા સામે શારદા કૌભાંડ, રોઝ વેલી કૌભાંડ, નારદા કૌભાંડ, પોન્ઝી કૌભાંડ અને ભરતી કૌભાંડોમાં સંડોવણીના આક્ષેપો થયા છે. આ કૌભાંડોમાં ટીએમસીના ઘણા નેતાની ધરપકડ પણ કરવામાં આવી છે. ૨૦૧૩માં કુણાલ ઘોષની શારદા કૌભાંડમાં ધરપકડ કરાઈ ત્યારે તેમણે કહ્યું કે, શારદા ચિટ ફંડના પૈસા મમતા પાસે છે. આ બધું જોતાં મમતાને સાવ દૂધે ધોયેલાં ના જ ગણી શકાય.



Post Views:
73




[ad_2]

Google search engine