[ad_1]
શાખામાં બંને જૂથના કાર્યકર્તાઓ બેસશે એવો ઉકેલ આવ્યા બાદ મામલો થાળે પડ્યો
જૂથ-બાજી: થાણેના કુંભારવાડા ખાતે શિવસેનાનાં બે જૂથ વચ્ચે શિવસેના શાખા બાબતે વિવાદ થયો હતો. વાતાવરણ થોડા સમય માટે તંગદિલીભર્યું થઇ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અને પરિસ્થિતિ વધુ ન વણસે એ માટે પોલીસપહેરો તહેનાત કરી દીધો હતો.
——–
થાણે: થાણે જિલ્લાના કોપરીમાં શિવસેનાની શાખા માટે ઠાકરે અને શિંદે જૂથમાં ચડસાચડસી થઇ હતી. કુંભારવાડા શાખાને તાબામાં લેવાના મુદ્દે બંને જૂથ આમનેસામને આવી ગયાં હતાં. આને કારણે આ વિસ્તારમાં ભારે પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. જોકે બંને જૂથના કાર્યકર્તાઓ જુદા જુદા સમયે બેસશે, એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ધનુષ્યબાણ કોનું? ખરી શિવસેના કોની? તેના પર વિવાદ ખડો થયો હતો અને ઠાકરે-શિંદે જૂથના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હોવાનું થાણેમાં જોવા મળ્યું હતું. મનોરમા નગરમાં આવેલી શાખામાં બંને જૂથ વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી. જોકે ત્યાર બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કુંભારવાડા ખાતે આવેલી શિવસેનાની શાખામાં ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓ બેઠા હતા ત્યારે શિંદે જૂથના કાર્યકર્તાઓ આવ્યા હતા અને વિવાદ ખડો થયો હતો. આ સમયે શિંદે જૂથના સ્થાનિક લોકોએ શાખા પર દાવો કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. એ સમયે બંને જૂથ વચ્ચે શાબ્દિક ચકમક થઇ હતી. આને કારણે થોડા સમય માટે આ વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ ઊભું થયું હતું. બે જૂથ સામસામે આવી ગયાં હોવાની માહિતી પોલીસને મળતાં મામલો બીચકે એ પહેલાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
વર્ષોથી આ શાખાની દેખભાળ અમે કરી રહ્યા છીએ અને અન્ય કોઇને શાખાનો તાબો લેવા નહીં દઇએ, એવો દાવો શિંદે જૂથના કાર્યકર્તાઓએ કર્યો હતો. દરમિયાન ઠાકરે જૂથના કાર્યકર્તાઓ પણ આક્રમક થયા હતા. આને કારણે જ વિવાદ વધુ વકર્યો હતો. પોલીસે બાદમાં દરમિયાનગીરી કરી હતી અને શાખાની એક ચાવી શિંદે જૂથને અને એક ચાવી ઠાકરે જૂથને આપી હતી. બંને જૂથના કાર્યકર્તાઓ શાખામાં જુદા જુદા સમયે બેસશે, એવો ઉકેલ કાઢવામાં આવ્યો હતો.
[ad_2]