[ad_1]
ટીવીનો સૌથી વિવાદિત શો બિગ બોસ 16માં સાજિદ ખાનની એન્ટ્રી થતાં જ બોલીવૂડમાં ફરી એક વાર #MeTooનો મુદ્દો ચગ્યો છે. વર્ષ 2018માં અંદાજે 10 અભિનેત્રી, મોડેલ અને જર્નાલિસ્ટે સાજિદ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી સાજિદની ફિલ્મોને બાયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ચાર વર્ષ બાદ સાજિદ બિગ બોસના ઘરમાં જોવા મળ્યો છે ત્યારે #MeToo મૂવમેન્ટ ફરી એક વાર ચર્ચાનું કારણ બન્યું છે. દિયા ઔર બાતી હમ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલી અને તાજેતરમાં જ આત્મ વિવાહ કરીને પોપ્યુલર બનેલી ગુજરાતી અભનેત્રી કનિષ્કા સોનીએ સાજિદ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કનિષ્કાએ જણાવ્યું હતું કે, સાજિદે મને એક વાર કહ્યું હતું કે, તારું ફિગર મેં જોયું છે. હાઈટ બોડી સારી છે. તુ લીડ મટેરિયલ છે. ખાલી ટી-શર્ટ ઉંચું કરીને મને પેટ દેખાડ, હું તારી બોડી જોવા માંગુ છું. સાજિદની આ વાતો સાંભળીને હું ડરી ગઈ હતી. હું વિચારી નહોતી શકતી કે એક ફિલ્મમાં આવવા માટે હું આ બધુ કરું. આટલું ભણી છું તો તેના આધારે હું કોઈ સારી ફિલ્ડમાં જઈ શકતી હતી. મને મોટી સ્ટાર બનવા માટે કોઈના સાથની જરૂર નહોતી.
વાતના દોરને આગળ વધારતાં કનિષ્કાએ કહ્યું હતું કે, બીજી વાર જ્યારે હું તેમને મળવા ગઈ ત્યારે મેં એમ વિચાર્યું કે તેઓ સમજશે કે હું એ ટાઈપની છોકરી નથી. તેઓ ઈચ્છતા તો મને સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ આપી શકતા હતાં. મને આશા હતી કે હવે કોઈ સારો પ્રોડ્યુસર ડિરેક્ટર મળશે, પરંતુ હું ખોટી હતી. લીડ એક્ટ્રેસને રાતોરાત પ્રોડ્યુસર અથવા ડિરેક્ટરની ગર્લફ્રેન્ડ સાથે રિપ્લેસ કરવામાં આવતી હતી. આ બધી વાતોથી હું એકદમ ડરી ગઈ. 15 વર્ષ સુધી મેં આ ચીજોને સહન કરી છે. હવે મારામાં હિમ્મત નથી.
સાજિદ ખાનની સચ્ચાઈ બતાવવા બિગ બોસના ઘરમાં આવવા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે કનિષ્કાએ જણાવ્યું હતું કે, જો મને બિગબોસમાં આવવાની તક મળી તો પણ હું ઈન્ડિયા પાછી નહીં આવું. એક શો થઈ જાશે પછી બીજા કામ માટે આ લોકો મને ટ્રેપ કરવાની કોશિશ કરશે કારણ કે મેં આટલા મોટા લોકોના નામ લીધા છે. ભારતના કાયદા પર હવે ભરોસો નથી. આ લોકો અભિનેત્રીઓની તમામ ચીજોને તેની ફેમ અને પૈસાથી તોલે છે.
હું ભારત છોડ્યા બાદથી જ ભારતીય ટીવી શો જોતી નથી. મારી માતાએ ફોન કરીને કહ્યું કે સાજિદ હવે ‘બિગ બોસ’માં આવ્યો છે અને તેની પર અનેક યુવતીઓએ આક્ષેપો કર્યા હતા. સાજિદ જેવા લોકોને રિયાલિટી શોમાં લાવવામાં આવ્યા છે અને એનાથી એ વાત સાબિત થઈ કે ઇન્ડસ્ટ્રીમાં કેટલું નેપોટિઝ્મ તથા ગ્રુપિઝ્મ છે.
લોકો એવું કહે છે કે તું આટલાં વર્ષમાં કેમ કંઈ ના બોલી. ઇન્ડસ્ટ્રીની એ વાત સારી છે કે તેમણે મારી પાસે કંઈક ડિમાન્ડ કરી અને હું ના પાડીને નીકળી ગઈ. મને સાજિદ ખાન સામે નહીં, પરંતુ ‘બિગ બોસ’ સામે ફરિયાદ છે. તેમણે કેમ સાજિદને તક આપી.
મારો એક બોયફ્રેન્ડ હતો અને તે ઘણો જ એગ્રેસિવ તથા હિંસક હતો. મેં તેની વિરુદ્ધ એક સમયે ફરિયાદ કરી હતી. ફરિયાદથી કંઈ ના થયું. FIRની નકલ પોલીસે ક્યાં મૂકી એ મને ખ્યાલ જ નથી. તે વ્યક્તિ આજે વિદેશમાં ફરે છે અને લગ્ન થઈ ગયા છે. મને ભારતીય કાયદા પર વિશ્વાસ નથી. હું અનેકવાર કોર્ટમાં ગઈ, પરંતુ કંઈ ના થયું. #MeToo અંગે વાત કરત તો ચાર લોકો વાતો કરે અને થોડા દિવસ ન્યૂઝમાં આ વાત રહેત. સુશાંત સિંહ રાજપૂત, સોનાલી ફોગાટ, સિદ્ધુ મૂસેવાલાના મોત બાદ શું થયું? આખી દુનિયા ‘બિગ બોસ’ જોઈ રહી છે, પરંતુ કોઈ પગલાં લેતા નથી.
મેં ભારતમાં એટલું બધું જોયું છે અને સહન કર્યું છે કે મને આનંદ છે કે હું ખુશ છું કે હું જીવિત છું અને કામ કરું છું, મારું મગજ પણ ચાલે છે. હું હવે ભારતથી પણ આગળ જઈશ અને હોલિવૂડમાં કામ કરીશ. મને ભારત આવવાનો કોઈ શોખ નથી. બીજી વાત એ કે આટલા બધા લોકો વિરુદ્ધ બોલ્યા બાદ હું ઘણી જ ડરી ગઈ છું. આ એટલા પાવરફુલ લોકો છે કે મને મારી શકે છે. હું નથી ઈચ્છતી કે મારા મર્યા બાદ લોકો મીણબત્તી સળગાવે, આથી જ હું ભારત પરત આવવા માગતી નથી.
[ad_2]