[ad_1]
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતના રાજકારણના અનોખા પાત્ર એવા ઉત્તર પ્રદેશમાં વર્ચસ્વ ધરાવતી સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન થઈ ગયું. ૮૨ વર્ષના મુલાયમ સિંહ યુરિન ઇન્ફેક્શનને કારણે છેલ્લાં ૧૫ દિવસથી ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ તેમની તબિયત બગડતી જ જતી હતી. ગાંધી જ્યંતી એટલે કે ૨ ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આઈસીયુમાં ગયેલા મુલાયમ સિંહ યાદવ પાછા આવ્યા જ નહીં, તેમના મોતના સમાચાર આવ્યા. મુલાયમસિંહના તેમના વતન સેફઈમાં મંગળવારે બપોરે ૩ વાગે અંતિમસંસ્કાર કરાશે ને એ સાથે જ ભારતના રાજકારણના એક પ્રકરણનો અંત આવી જશે.
મુલાયમસિંહ વિશે લોકોના અલગ અલગ અભિપ્રાય છે પણ એક વાતમાં શંકા નથી કે ભારતના રાજકારણમાં બહુ ઓછા એવા રાજકારણી આવ્યા કે જે મુલાયમસિંહ જેટલી લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા હોય અને મુલાયમ જેવું રાજકીય વજન ધરાવતા હોય. મુલાયમ સિંહ પંચાવન વર્ષ સુધી રાજકારણમાં રહ્યા અને ભારે સંઘર્ષ કરીને દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં જે તાકાત ઊભી કરી એવી તાકાત પણ બહુ ઓછા નેતા ઊભી કરી શકે.
મુલાયમ સિંહ ૨૮ વર્ષની ઉંમરે ૧૯૬૭માં જસવંતનગર બેઠક પરથી જીતીને પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. તેમના પરિવારનું કોઈ રાજકીય બ્રેકગ્રાઉન્ડ નહોતું છતાં જીતી ગયેલા મુલાયમે એ પછી કદી પાછું વળીને જોયું નથી. કૉંગ્રેસના એકચક્રી શાસનના દિવસોમાં ઝઝૂમતા રહેલા મુલાયમ દસ વાર તો વિધાનસભામાં ચૂંટાયા અને સાત વાર લોકસભામાં ચૂંટાયા. નેતાજીના નામથી જાણીતા મુલાયમ સિંહ જેવો ભવ્ય ચૂંટણી જીતવાનો રેકોર્ડ બહુ ઓછા નેતાઓ ધરાવતા હશે.
મુલાયમસિંહ ત્રણ વાર યુપીના મુખ્યમંત્રી બન્યા. ૫ ડિસેમ્બર ૧૯૮૯ના રોજ મુલાયમ પ્રથમ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા ને એ પછી વધુ બે વાર રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. મુલાયમને કેન્દ્રમાં દેવેગૌડા અને ગુજરાલ સરકારમાં સંરક્ષણ મંત્રીની જવાબદારી પણ સંભાળી હતી. આવી લાંબી કારકિર્દી અને આટલા બધા હોદ્દા ભોગવનારા નેતાને દિગ્ગજ નેતા તરીકે સ્વીકારવા જ પડે.
મુલાયમસિંહની મોટી સિદ્ધિએ પણ છે કે, તેમણે પોતાના જોર પર પ્રાદેશિક પાર્ટી બનાવી અને તેને દેશના સૌથી મોટા રાજ્યમાં સફળ પણ બનાવી. પહેલી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે મુલાયમસિંહને કોઈ ગંભીરતાથી નહોતું લેતું પણ ઓક્ટોબર, ૧૯૯૦માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વખતે થયેલી કારસેવા સમયે અયોધ્યામાં મુલાયમે કારસેવકો પર ગોળીઓ ચલાવડાવી તેના કારણે મુસ્લિમો તેમના પર વારી ગયા હતા.
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો અયોધ્યામાં કારસેવા માટે ભેગા થયા હતા. લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના દિવસે કાર સેવકોની આ ભીડ બેકાબૂ બની ગઈ હતી. કાર સેવકો પોલીસને અવગણીને મસ્જિદ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મુલાયમ સિંહે પોલીસને ગોળી મારવાનો આદેશ આપ્યો હતો.
પોલીસની ગોળીથી છ કાર સેવકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો હતો પણ મુલાયમ ડગ્યા નહોતા. બે દિવસ પછી, ૨ નવેમ્બર ૧૯૯૦ના રોજ હજારો કારસેવકો હનુમાનગઢી પાસે પહોંચ્યા ત્યારે મુલાયમે પોલીસને ફરી ગોળીબાર કરતાં ૧૬ કાર સેવકો માર્યા ગયા હતા. મુલાયમની આ મક્કમતા પર મુસ્લિમો ફિદા થઈ ગયા હતા.
કૉંગ્રેસથી થાકેલા મુસ્લિમો મુલાયમ તરફ વળ્યા ને તેના કારણે જ જનતા દળના ધાગડિયાથી કંટાળેલા મુલાયમ સિંહ યાદવે ૪ ઓક્ટોબર ૧૯૯૨ના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. એ વખતે મુલાયમ સપા પ્રમુખ બન્યા હતા જ્યારે જનેશ્ર્વર મિશ્રા ઉપાધ્યક્ષ, કપિલ દેવ સિંહ અને મોહમ્મદ આઝમ ખાન પાર્ટીના મહામંત્રી બન્યા હતા.
યુપીમાં એ વખતે હિંદુત્વની લહેર પર સવાર થઈને આવેલા ભાજપની સરકાર હતી ને કલ્યાણસિંહ મુખ્યમંત્રી હતા. હિંદુત્વની લહેર જોતાં મુલાયમની મુસ્લિમ તરફી નીતિ મૂર્ખામી લાગતી હતી પણ એ જ નીતિ મુલાયમને ફળી. આજે પણ સમાજવાદી પાર્ટી ટકેલી છે તેનું એક કારણ મુલાયમે ઊભી કરેલી વફાદાર મુસ્લિમ મતબેંક છે. આ મતબેંકે જ મુલાયમને ફરી બે વાર મુખ્યમંત્રી બનાવેલા. કેન્દ્ર સરકારમાં પણ મંત્રીપદ અપાવ્યું અને તેમના દીકરા અખિલેશને પણ મુખ્યમંત્રી બનાવ્યો. મુલાયમ અને લાલુ એ બે એવા નેતા હતા કે જેમણે જ્ઞાતિવાદનાં સમીકરણોને નવી દિશા આપીને પોતપોતાના રાજ્યોના રાજકારણની દિશા અને દશા બંને બદલી નાંખેલાં.
મુલાયમ અંગત જીવનમાં પણ અનોખા સાબિત થયેલા. મુલાયમના પોતાના અખિલેશ અને પ્રતિક બે દીકરા છે. મુલાયમ ચહેરા પરથી રોમેન્ટિક માણસ ના લાગે પણ તેમણે બે વાર લગ્ન કરેલાં. તેમનાં બીજાં લગ્ન પ્રેમલગ્ન હતાં. મુલાયમે માલતી દેવી સાથે પહેલાં લગ્ન કરેલાં. અખિલેશ માલતી દેવીનો પુત્ર છે. ૧૯૮૦ના દાયકામાં મુલાયમ સાધના દેવીમાં લપટાયા ને છાનામાના પરણી ગયેલાં. સાધના ગુપ્તાને ચંદ્ર પ્રકાશ સાથેના પહેલા લગ્નથી પ્રતિક થયો હતો પણ મુલાયમે તેને પોતાનું નામ આપ્યું હોવાથી તે મુલાયમનો જ પુત્ર હોવાનું કહેવાય છે.
મુલાયમે લાંબા સમય સુધી આ વાત છૂપાવી રાખેલી. ૨૦૦૩માં માલતી દેવીના નિધન પછી ચાર વર્ષ બાદ છેક ૨૦૦૭માં તેમણે સાધના સાથેના સંબંધો સ્વીકાર્યા. સાધના મુલાયમ સાથે જ રહેતાં હતાં ને બે મહિના પહેલાં જ તેમનું નિધન થતાં મુલાયમ એકલા પડી ગયેલા. પ્રતિકને રાજકારણમાં રસ નથી તેની પત્ની અપર્ણા યાદવે રાજકારણમાં એન્ટ્રી કરીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે.
મુલાયમના નિધનના પગલે ભાજપના નેતા અત્યારે મુલાયમસિંહ પર ઓળઘોળ છે. અત્યારે નરેન્દ્ર મોદી સહિતના ભાજપના નેતાઓ મુલાયમને શ્રધ્ધાંજલિ આપતી વખતે મન મૂકીને વરસી રહ્યા છે. આ જ ભાજપના નેતા એક સમયે મુલાયમસિંહને મુલ્લા મુલાયમ કહીને ગાળો આપતા હતા, હિંદુઓના હત્યારા કહીને ઝાટકણી કાઢતા હતા. આ વરસે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના નેતા મુલાયમસિંહના પરિવારવાદની ટીકા કરતા જ હતા. હવે મુલાયમના આશીર્વાદની વાતો કરે છે.
ખેર, ભાજપના નેતા ગમે તે કરે કે કહે તેનાથી ફરક પડતો નથી. ભાજપના નેતા નહીં કહે તો પણ મુલાયમ ભારતીય રાજકારણનું મહત્ત્વ અને યાદગાર પાત્ર હતા જ. ઉ
[ad_2]