[ad_1]

(તસવીર: ઉત્સવ વૈદ્ય)
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા કચ્છના નિરોણા ગામના વાઢઈં પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ, મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી માત્ર ‘છોલ’ કરીને વાંઢા જાતિના પરિવારો આખું વર્ષ આવા દાંડિયા બનાવે છે અને નવરાત્રિ પર્વ ટાંકણે આ ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ સહિત ગુજરાતના અન્ય શહેરો અને મુંબઈની બજારોમાં ઠલવાય છે. જૂના ભુજની ઐતિહાસિક ડાંડા બજારમાં ફરતાં હાલે આવા દાંડિયાઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. દાયકાઓથી નવરાત્રિ દરમ્યાન દાંડિયાનો વ્યવસાય કરતા હુસેનભાઇ વોહરાના જણાવ્યા પ્રમાણે હજુ શ્રાદ્ધ ચાલતા હોઈ દાંડિયાની ખરીદી શરૂ થઇ નથી અને ખુબ ધીમું વેંચાણ થઇ રહ્યું છે. કચ્છના નિરોણાના દાંડિયા ખાસ કરીને જુદા જુદા ગરબી મંડળો જથ્થાબંધ ખરીદે છે અને ગરબીમાં રમવા આવતા ખેલૈયાઓ પોતાને જોઈતા દાંડિયાઓ ઉપાડી દાંડિયારાસમાં જોડાય છે.
નિરોણાના વાઢઈં પરિવારોને આ દાંડિયાઓ બનાવવા ભારે મહેનત કરવી પડે છે અને વન-વગડામાં કલાકોની રઝળપાટ બાદ એકઠા કરાયેલા ‘ગાંગેટી’ ઝાડની ડાળીઓની છોલ કરીને, બાર કલાકમાં માંડ એકસો જેટલી દાંડિયાની જોડ તૈયાર થાય છે. એક જોડી રૂપિયા દસના ભાવે દુકાનોમાં વેંચાય છે. હુસેનભાઇ વોહરાએ ઉમેર્યું હતું કે, નાના બાળકો અને મહિલાઓ મોટેભાગે મશીન કટ તેમ જ વર્કવાળા રંગબેરંગી દાંડિયા પસંદ કરે છે તેમ છતાં મશીન અને રોબોટના આ જમાનામાં પણ, છોલ કરેલા ઇકો ફ્રેન્ડલી દાંડિયાનું અસ્તિત્વ હજુ જળવાયેલું છે તે એક આનંદની વાત છે. દરમ્યાન, ડાંડા બજારના વેપારીઓ દાંડિયામાં છેલ્લી ઘડીની ખરીદીની રાહ જોઈ રહ્યા છે. આ વખતે ઠેર ઠેર શેરી ગરબીઓ પુન:જીવિત થવાથી સારો વેપાર થશે તેવો વિશ્ર્વાસ પણ આ વેપારીઓના હૈયે છે.
Post Views:
71
[ad_2]